Saturday, November 27, 2010

માનવધર્મ સર્વોપરિ

આજે ચારેબાજુ બૂમરાણ ઊઠીછે કે મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. મૂલ્યોનું ધોવાણ કેમ થાય છે ?? શા માટે થાય છે ?? તે અંગે વિચારવાની જરૂર તો છે જ. વર્તમાન કાળની વાત કરીએ તો સત્તાની સાઠમારી , ધનાઢ્ય થવાની લાલસા , અમર્યાદ લોભવૃત્તિ , સર્વોપરી થવાની મહત્વકાંક્ષાં , જાતિય નિરંકુશતા , અને માનવીય ગુણસંપન્નતાનો અભાવ , અંધશ્રધ્ધા , નશાખોરી વગેરે જવાબદાર છે. આમ કેમ થયું , એમ કોઈ પૂછી શકે , તો કહેવું પડે કે ભૂતકાળમાં અને આજે પણ આપણે માણસની સ્વતંત્રતા , સમાનતાનો મનથી સ્વીકાર કરી શક્યા નથી તેને કારણે મૂલ્યોનો નાશ થવા માંડ્યો છે.

ઉચ્ચ-નીચના ભેદભાવો , પુરૂષ અને નારીના ભેદભાવો , ગરીબ-તવંગરના ભેદભાવો , સાંપ્રદાયિક , સાક્ષર-નિરક્ષર , કુલવંશ તેમજ જ્ઞાતિજન્ય અભિમાનમાંથી જન્મતા ભેદભાવ વગેરેને કારણે સમાજમાં વિષમતા પેદા થઈ ગઈ છે. પછી ભલે ને આપણે ભારતીય સંસ્કૃતિનાં ગાણાં ગાવામાંથી પરવારતા ન હોઈએ,મહાભારત શું કહે છે ?? પાંડવો જુગાર રમવામાં હારી ગયા ત્યારે દ્રૌપદીને હોડમાં મૂકી દીધી,આ તે શું કહેવાય ?? એ સમયમાં પત્ની પુરુષની માલિકીની ગણાતી હતી. અને આજે પણ પુરુષાધિન સમાજનું માનસિક વલણ એવું ને એવું જ રહ્યું છે. , કારણ કે તેમાં નારીની સ્વતંત્રતા અને સમાનતાનો અભાવ કારણભૂત છે. પહેલાના સમયમાં જે સાત પાપો નામે જાણીતા હતા તેવી વાતો આજે પણ જોવા મળે છે.

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ

(૭) ત્યાગવિહીન પૂજા


ધીંગી ધરાના ગુર્જર નરેશો ભાગ - ૨


આ બ્લોગમાં એવા દરેક લોકો જે ખરેખર વાહનસુખને પાત્ર છે કે નહીં તે તો ભગવાનને જ પૂછવું પડે ?? અથવા બીજાને તકલીફ આપવા માટે જ ભગવાને તેઓને વાહનસુખ આપ્યું હોય કે તેઓ ભોગવતા હોય તેવા લોકો વિશે ફક્ત વાત જ કરવામાં આવી છે તેમના વિશે ટકોર કે ઠપકો આપે તેવી કોઈ વાત નથી.લેખ વાંચ્યાં પછી યોગ્ય લાગે તો કોમેંન્ટ આપવી

ભાઈને વાહનસુખ છે !!!

જેમ કાબેલ મનુષ્યો જમીન પર પાટું મારીને પણ પાણી કાઢી શકે એમ આ લોકો ગમે તે ચીજમાંથી પણ પૌરૂષત્વ પેદા કરે છે . બાકી કાર લઈને પાન ખાવા જવું , સ્ટેશને ચા પીવા જવું કે કાર લઈને ફક્ત નજીકની હોટલમાં આંટો મારવા જવું વગેરે જેવા શોખ તો શારજહાં ને કે નવાબ અકબર પણ નહીં ફરમાવતા હોય !! પાનના ગલ્લાની આજુબાજુ ટોળે વળીને ઉભેલાં કે પછી પાનનો ડુચો મોઢાંમાં ભરીને ઉપસેલા ગાલ સાથે દૂરથી કી-ચેઈનની મદદથી મોટ્ટા અવાજે " પુચ પુચ " કરતું કારનું સેંન્ટ્રલ લોક મારવામાં અને ખોલવામાં જે ઠાઠ અનુભવાય એ તો માંહી પડેલાં જ જાણે !!

આઝાદીનાં ૬૩ વર્ષમાં " સારે જહાં સે અચ્છા " જેટલું નહીં ગવાયું કે સાંભળાયું હોય તેટલું તો એના કરતાં પણ વધારે અત્યારે કારનાં રિવર્સ હોનમાં સાંભળાય છે !! પ્રભાત ફેરીનો જમાનો ગયો લાગે છે , હવે તો સવારના સાડા ચાર વાગે કે રાતે અઢી વાગ્યે પણ સ્ટિરીયોફોનિક સાઉંન્ડમાં કારનું રિવર્સ હોન વાગે કે આખી સોસાયટીને ખબર પડે કે " સ્કોડાધિપતિ , મારૂતિનરેશ , હોંન્ડાધિરાજ , હ્યુન્ડેસમ્રાટ " આવી ગયા છે. પછી ભલેને લોનના હપ્તા ભરવામાં નાકે દમ આવી જતો હોય , કે ઘરમાં કિલો લોટ દળાવવાના પૈસા પણ ઉછીના માંગવા પડે કે બાકી રાખવા પડે. પણ મર્સીડીઝ નું નવું મોડેલ લોંન્ચ થાય કે તેના તમામ ફીર્ચસ મોઢે , એવરેજ મોઢે જ હોય !!

કેટલાક બાઈકપતિઓ તો ગુરૂતાગ્રંથી અનુભવવા માટે અહીંથી મંગળના ગ્રહ પર પણ સંભળાઈ શકે ઍટલા મોટા અવાજવાળાં હોર્ન રાખે છે અને એનો છૂટથી ઉપયોગ પણ કરે છે કે જ્યાં રસ્તો બિલકુલ ખાલી ન હોય , ભીડ ન હોય , ફક્ત ગુરૂતાગ્રંથી અનુભવવા કે હટી જજો નવાબ આવી રહયા છે.



ધીંગી ધરાના ગુર્જર નરેશો ભાગ - ૧

આ બ્લોગની અંદર આપણી રોજ - દરરોજની જિન્દંગીમાં બનતી ઘટનાઓ તેમજ પ્રસંગો વિશે જણાવ્યું છે. જો ખરેખર જોવા જઈએ તો તે દરેક જણને પ્રત્યક્ષ રીતે કે આડકતરી રીંતે અનુભવવાતી જ હોય છે કે પછી તેનો તે સાક્ષી હોય કે પછી પોતે જ તે કરનાર હોય. લેખ વાંચ્યાં પછી યોગ્ય લાગે તો કોમેંન્ટ આપવી.


ધીંગી ધરાના ગુર્જર નરેશો .... .... ભાગ - ૧


આ બ્લોગમાં આપણે ધૂમ સ્ટાઈલથી ગાડિયો ચલાવતાં , ચાલુ ગાડીએ પણ મોબાઈલ પર ચાલુ પડી જતાં અને સરાજાહેર દીવાલો પર પેશાબ કરવા જેવી ક્રિયાઓમાંથી પણ વીરરસનો આસ્વાદ માણતાં આપણા ગુર્જરનરેશોના પૌરૂષત્વની ગાથા આલેખશું , પણ એમ કંઈ એમની મર્દાનગીની મહાગાથા એક લેખમાં પતે ??

તું બા'ર નીકળ એટલે કહું હમણાં ....

લગભગ દર એક-દોઢ દાયકે થતી કોમી રમખાણોની વાતને બાદ કરતાં ગુજરાતની બહાર ગુજરાતીઓની છાપ શાંતિપ્રીય " દાળભાતિયા " લોકોની છે. પરતું ગુજરાતમાં કોઈ ' દિ શામળિયો ભૂલો પડી જાય , તો એને નરક ભૂલાવી દે એવી ગાળો એમને સાંભળવા મળે !! બહાર તો એવીય છાપ છે કે ગુજરાતી બચ્ચો માના દુધ પછી ખોરાક ખાતાં શીખે કે તરત જ શેરના સોદા કરતાં શીખી જાય છે.

વેવાઈને ઘેર જઈને ત્યાંથી પણ " સી.એન.બી.સી." માંથી શેરના ભાવ જોઈ પાંચેક કંપનીઓની લે-વેચ કરનાર ગુજરાતીઓ આર્મી - નેવી - એરર્ફોર્સમાં જોડાવવાની બાબતે ઘોર ઉદાસીન છીએ . ( એ વાત પણ બરોબર ગુજરાતીઓ ક્યાં યુધ્ધપ્રેમી કે યુધ્ધખોર છે, હા ! થોડા રમખાણ પ્રેમી ખરા !!)

તેમ છતાંય
ક્યાંય પણ બાંયો ચડાવવાનો મોકો મળે કે આપણે ગાળનાં બાણ ચડાવીને ઝઘડવા તૈયાર !!, આગળના વાહનવાળો ગાડી ધીમે ચલાવતો હોય , અચાનક બ્રેક મારે , રોંગ સાઈડથી આવે , કે અકસ્માતે અડાડી દે , કે તરત જ આપણાં સંસ્કાર દેખાવવા માંડે , " વે !! ડોફા દેખાતું નથી ?? " આ ગોબો પડ્યો છે તે કોણ તારો કાકો રીપેર કરશે .... વગેરે ... વગેરે...

સોસાયટી હોય કે એપાર્ટમેંન્ટ , વાહન પાર્ક કરવા , બાલ્કનીમાંથી થૂંકવું , કચરો નાખવો ... .... કોઈ પણ બાબતે આપણે જંગે ચડવા એવરરેડી જ હોઈએ . , સમાજમાં ભલે સમાનતા ન હોય પણ ઝઘડવા માટે આપણે દરેક મુદ્દાને સમાન ગણી , એને સ્વમાનનો મુદ્દો બનાવી યા હોમ કરીને કૂદી પડીએ. !! એટલે જ તો " પાનખાઈને પિચકારી મારવાની બાબતે જબરજસ્ત માર માર્યો , છોકરીની છેડતી બાબતે બે-જુથો વચ્ચે મારામારી " જેવી મહત્વની હેડલાઈનો આપણે ત્યાં ખાસી જગ્યા રોકતી હોય છે.


બાઈક સાથે લાકડાનો ડંડો બાંધી રાખવો , કારની ડેકીમાં સી.એન.જી. ના બોટલ નીચે બેઝબોલનું બેટ રાખવું . કાકાના સાળાના બનેવીનો મોટો દીકરો પોલીસ ખાતામાં કોંન્સ્ટેબલ હોય , તોય આપણે આપણી ગાડીની નંબર પ્લેટ પર પોલીસ લખાવવું , વાહનો પર જ્ઞાતિસૂચક શબ્દો અને ચિન્હો ચોંટાડવા .. આ જ તો વીરતાનાં પ્રતિબિંબ છે. લોકલ લેવલે મવાલીગીરી કરવી , દબંગગીરી કરીને ઈંન્સ્ટન્ટ હીરો થઈ જવાય , એ જ વધુ આર્કષે છે.